મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે અધિકારીઓને કડક ચેતવણી આપતા કહ્યું કે તેઓ 10 દિવસમાં મુંબઈ-નાસિક હાઈવેનું સમારકામ કરે. જો 10 દિવસમાં હાઈવે પરનો ટ્રાફિક નહીં સુધરશે તો સંબંધિત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. અજિત પવારે અધિકારીઓને કહ્યું કે જ્યાં સુધી હાઈવે પરના ખાડાઓ ભરાઈ ન જાય અને સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ફીની વસૂલાત રોકવાનો પ્રસ્તાવ રજૂ કરો.
અજિત પવારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC), પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (PWD), નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને અન્ય વિભાગો સાથે ખાડાઓ, સમારકામમાં વિલંબ અને ટ્રાફિક મેનેજમેન્ટના મુદ્દાઓને લઈને કડક શબ્દોમાં આ આદેશો જારી કર્યા છે. મુંબઈ-નાસિક હાઈવેની ચર્ચા દરમિયાન આપી હતી.
ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. સમસ્યાને દૂર કરવા માટે તાત્કાલિક સમારકામ જરૂરી છે. સમયસર ખાડાઓ પુરવાથી વાહનોની સ્પીડ વધીને સમયની બચત થઈ શકે છે. તેમ છતાં હાઇવે પર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. તેમણે કહ્યું કે NHAI અધિકારીઓએ સંયુક્ત રીતે ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું નિરીક્ષણ કરવું જોઈએ અને ડ્રોન વીડિયો તૈયાર કરવો જોઈએ. મહારાષ્ટ્ર સરકાર આ માટે જરૂરી તમામ મદદ કરશે. જો આગામી 10 દિવસમાં આ હાઇવે પરનો વાહનવ્યવહાર સુચારૂ નહીં થાય તો જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવશે.
અજિત પવારે પીડબલ્યુડીના અધિક મુખ્ય સચિવને સૂચના આપી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે રસ્તા પરના ખાડાઓને કારણે નાસિક અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય વધીને 8 થી 10 કલાક થઈ ગયો છે, જે 166 કિમીના અંતરે આવેલા બંને શહેરોના સામાન્ય સમય કરતા બમણા કરતા વધારે છે.
બેઠક બાદ સમાજવાદી પાર્ટી (SP)ના ભિવંડી (પૂર્વ)ના ધારાસભ્ય રઈસ શેખે અજિત પવારના નિર્દેશોનું સ્વાગત કર્યું અને કહ્યું કે હું ડેપ્યુટી સીએમ દ્વારા દર્શાવવામાં આવેલી ચિંતાની પ્રશંસા કરું છું. જો કે, આ પરિસ્થિતિ કોન્ટ્રાક્ટર-એજન્સીની સાંઠગાંઠને છતી કરે છે, જેના કારણે લોકોને અગવડ પડી રહી છે.
તમને જણાવી દઈએ કે મુંબઈ-નાસિક હાઈવે ઉત્તર મહારાષ્ટ્રને મુંબઈ સાથે જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે અને તેના પર આખું વર્ષ ભારે ટ્રાફિક રહે છે. હાલમાં આસનગાંવ, વશિંદ અને અન્ય કેટલીક જગ્યાએ બાંધકામનું કામ ચાલી રહ્યું છે.