જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી તણાવ વધી ગયો છે. રિયાસી અને કઠુઆ બાદ હવે વધુ એક આતંકી હુમલો થયો છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન સેનાના બે જવાન ઘાયલ થયા હતા. એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યા ગયાના સમાચાર છે. આ સાથે એક નાગરિક ઘાયલ થયો હતો.
પોલીસે મંગળવારે આ જાણકારી આપી. આ હુમલો ડોડા જિલ્લાના છત્તરગલ્લા વિસ્તારમાં થયો હતો. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રિયાસી અને કઠુઆ પછી છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ ક્ષેત્રમાં આ ત્રીજો આતંકવાદી હુમલો છે.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીર: પુલવામામાં IED રિકવરીનો મામલો, લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓની ધરપકડ
જમ્મુના ADGP આનંદ જૈને જણાવ્યું હતું કે, "એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક નાગરિક ઘાયલ થયો હતો, પરંતુ તે હવે ખતરાની બહાર છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે."
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ એક ઘર પર ગોળીબાર કર્યા પછી સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યા ગયાના કલાકો પછી ડોડા જિલ્લામાં આતંકવાદી હુમલો થયો.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ કઠુઆના સૈદા સુખલ ગામમાં એક મકાન પર ગોળીબાર કર્યો હતો, જે હીરાનગર સેક્ટરમાં સ્થિત છે. આ વિસ્તાર ઈન્ટરનેશનલ બોર્ડર (IB)ની નજીક છે.
ADGP જમ્મુએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "સેના અને પોલીસના સંયુક્ત બ્લોકે ડોડાના છત્તરગાલા વિસ્તારમાં એક આતંકવાદીને ઘેરી લીધો છે, ફાયરિંગ ચાલુ છે."