સોમવારે કેરળના વાયનાડ પર વિનાશ વેરેલી કુદરતી આફત પછી, પહાડીની ટોચ પરથી પાણીના જોરદાર પ્રવાહે નાની ઇરુવાઝિંજી નદીના પ્રવાહની દિશા બદલી નાખી, તેના કાંઠે હાજર દરેક વસ્તુ ડૂબી ગઈ. સેટેલાઇટથી લીધેલી તસવીરોમાં આ સ્પષ્ટપણે જોઈ શકાય છે. અગાઉ પહાડો વચ્ચે વહેતી ઇરુવાઝિંજી નદીના માર્ગ પર જ્યાં હરિયાળી દેખાતી હતી, હવે માત્ર કાટમાળ જ દેખાય છે. ભૂસ્ખલન પહેલા નદી સીધી લીટીમાં વહેતી હતી અને કાંઠે ગામડાઓ વસી ગયા હતા પરંતુ હવે નદીએ સમગ્ર વિસ્તારને આવરી લીધો છે.
ભૂસ્ખલન બાદ વાયનાડના ચાર આખા ગામો નાશ પામ્યા છે. ભારે વરસાદ વચ્ચે કાદવ, પથ્થરો અને વૃક્ષોના મોટા ટુકડાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવી અપેક્ષા છે કે આજે ચુરલમાલા અને મુંડક્કાઈ વચ્ચેનો 190 ફૂટનો પુલ તૈયાર થઈ જશે. અટ્ટમાલા, મુંડકાઈ અને ચુરલમાલામાં ફસાયેલા લોકોને બચાવવા માટે આજે બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 256 પર પહોંચી ગયો છે. કેરળમાં કુદરતના આ વિનાશને લઈને મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. વિજયને બેઠકમાં કહ્યું કે, હાલમાં મુખ્ય પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવાની છે. બેઈલી બ્રિજનું બાંધકામ પૂર્ણ થયા બાદ ભારે વાહનોની અવરજવર થઈ શકશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આજે વાયનાડ જવાના છે. બંને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે અને પીડિતોને મળશે. આ પહેલા રાહુલ ગાંધી બુધવારે વાયનાડ જવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો.