રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સિવાય 18 કેબિનેટ મંત્રી, 14 રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 20 રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. 69 વર્ષના બીજેપી નેતા સૂર્ય પ્રતાપ શાહીએ પણ યોગી સરકાર 2.0માં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
સૂર્ય પ્રતાપ શાહીનો જન્મ 1952માં દેવરિયા જિલ્લાના પાથરદેવાના પાકહા ગામમાં થયો હતો. તેણે બીઆરડી પીજી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. બીએચયુમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. સૂર્ય પ્રતાપ શાહી તેમના વિદ્યાર્થીકાળથી જ રાજકીય રીતે સક્રિય હતા. તેઓ તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન ચૂંટણી પણ લડ્યા હતા.
તેમના કાકા રવિન્દ્ર કિશોર શાહી ભારતીય જન સંઘના પ્રદેશ અધ્યક્ષ અને 1977 થી 1979 સુધી યુપી સરકારમાં મંત્રી હતા. સૂર્ય પ્રતાપ શાહી 1985માં પ્રથમ વખત કસ્યાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ વર્ષ 1991 અને 1996માં જીત મેળવી હતી. આ સમયગાળા દરમિયાન, તેઓ રાજ્ય સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન, આરોગ્ય પ્રધાન અને આબકારી પ્રધાનના હોદ્દા સંભાળી ચૂક્યા છે.
વર્ષ 2012 માં સીમાંકન પછી, કસ્યા બેઠક પાથરદેવ બેઠક બની અને આ વખતે શાહી આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા. આ પછી, 2017 માં ચૂંટણી જીત્યા પછી, તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં કૃષિ, કૃષિ શિક્ષણ અને કૃષિ સંશોધન વિભાગના કેબિનેટ મંત્રી બન્યા. 2022માં સૂર્ય પ્રતાપ શાહીએ સમાજવાદી પાર્ટીના બ્રહ્મશંકર ત્રિપાઠીને હરાવ્યા છે, ત્યારબાદ તેઓ યોગી સરકાર 2.0માં મંત્રી બન્યા છે.